( ૨ ) બીજુ શું કઢી ?
એક વખત બીરબલે પોતાના એક
સંબંધીના ઘેર જમવા જવાનું હતું . તેથી બીરબલે બાદશાહ પાસે વહેલા જવાની રજા
માગી.બીરબલ દરબાર છોડીને જાય એ બાદશાહને ન ગમતું પણ બીરબલને જમવા ગયા વગર ચાલે તેમ
ન હતું .
તેથી બાદશાહને રજા આપવી
પડી . બીજા દિવસે બીરબલ દરબારમાં આવ્યો ત્યારે બાદશાહે પૂછ્યું- ‘ બીરબલ , કાલે
તું જ્યાં જમવા ગયો હતો ત્યાં શું શું બનાવ્યું હતું ! રસોઈ કેવી બની હતી ! ’
બીરબલે જવાબમાં કેટલાય પકવાનોના નામ લીધા.બાસુદી
, ટોપરાપાક , મોહનથાળ , બરફી વગેરે . હજુ બીરબલ પોતાની વાત પુરી કરે એ પહેલા રાજનો
એક બીજો પ્રશ્ન આવી ગયો એટલે વાત ત્યાં જ અટકી ગઈ .
આ વાતને કેટલાય દિવસો
વીતી ગયા . એક દિવસ બાદશાહ દરબારમાં બેઠા હતા . બાદશાહને યાદ આવ્યું કે બીરબલે એ
દિવસે ભોજન સામગ્રીનું વર્ણન અધુરું છોડી દીધું હતું .
આજ બીરબલની યાદશક્તિની
કસોટી કરવાનો ખરો લાગ આવ્યો છે . આમ વિચારી બાદશાહે પૂછ્યું - ‘ બીજું શું ? ’
બીરબલ સમજી ગયો કે એ દિવસે ભોજન સામગ્રીનું નામ જણાવતા જણાવતા બીજું કામ આવી જવાથી
વાત અધુરી રહી ગઇ હતી એટલે બાદશાહ એજ વાત આજે પૂછી રહ્યા છે .
બીરબલ તો ઘણો બુદ્ધિશાળી
હતો . તેથી તત્કાળ જવાબ દઇ દીધો - ‘ બીજું શું , કઢી ! ’
બસ બીરબલની આ ગજબની
યાદશક્તિથી બાદશાહ ઘણાં ખુશ થયા અને પોતાના ગળામાંથી મોતીની માળા ઉતારીને ઇનામમાં
આપી દીધી .
દરબારીઓ સમજી ન શક્યા કે એવી તે શું વાત બની કે
બાદશાહે સાચા મોતીની માળા ઇનામમાં આપી દીધી ! ઘણાં એમ વિચારવા લાગ્યા કે બાદશાહને
કઢી ઘણી પ્રિય છે .
અને બીરબલે કઢીનું નામ લીધું એટલે બાદશાહે ખુશ
થઇને માળા આપી એટલે દરબારીઓને પણ ઇનામ મેળવવાની લાલચ જાગી .
બીજા દિવસે સૌ એ પોતાના
ઘરમાં સ્વાદિષ્ટ કઢી બનાવી . કેટલાકે તો જાત જાતના મસાલા નાખી આંગળા ચાટવા પડે એવી
કઢી બનાવી . કેટલાકે તો ખાસ રસોયા પાસે કઢી બનાવરાવી .
દરબારનો સમય થતાં જ મોટા મોટા દેગડામાં કઢી
ભરીને સૌ દરબારમાં આવવા લાગ્યા . જોત જોતામાં તો કઢી ભરેલા દેગડાનો ઢગ ખડકાઇ ગયો .
બાદશાહ તો આટલા બધા દેગડા
જોઇને અચંબો પામી ગયા અને દરબારીને પૂછવા લાગ્યા કે આ દેગડાઓમાં છે શું ? શા માટે
આ દેગડા લાવ્યા છો ? તો એક દરબારી ઊભો થયો .
હાથ જોડીને કહેવા લાગ્યો
‘ નામદાર , આમાં તમને અતિ પ્રિય એવી કઢી છે . જહાંપનાહ કાલે તમે કઢી શબ્દ પર ખુશ
થઇને બીરબલને મોતીની માળા ઇનામમાં આપી દીધી હતી .
તેથી તમને ખુશ કરવા અમે
બધા સ્વદિષ્ટ કઢી બનાવીને લાવ્યા છીએ . ’
દરબારીઓની આવી મૂર્ખતા જોઇ બાદશાહ સમસમી ગયા .
એટલા બધા આવેશમાં આવી ગયા કે તમામ દરબારીઓને જેલમાં પુરી દેવાનો હુકમ કરતા બોલ્યા
- ‘ તમને ફકત નકલ કરતા આવડે છે .
તમે બીજાની ખુશી નથી જોઇ
શકતા માટે તમને બધાને સજા થશે .દરબારીઓ એ જોયું કે હોડ બકતા હાથ બળી રહ્યા છે તો
બધા હાથ જોડીને ક્ષમા માગવા લાગ્યા .
ખુબ જ આજીજી કરી ત્યારે માંડ બાદશાહે માફી આપી
અને કહ્યું ‘ તમે બધા પ્રતિજ્ઞા કરો કે સમજયા વિચાર્યા વગર કોઇની નકલ નહીં કરો . ’
દરબારીઓ એ પ્રતિજ્ઞા કરી અને લુલા લમણે ઘર ભેગા થઇ ગયા .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment