header

દલાઈ લામા, The Dalai Lama

 

દલાઈ લામા

 

(. જુલાઈ ૧૯૩૫, લહાસા પાસે આમ્ડો) તિબેટના ધાર્મિક અને રાજકીય નેતા.

 

દલાઈ લામા

 

                તેઓ બૌદ્ધ ધર્મની એક શાખા લામાવાદનીયેલો હૅટ’ (Yellow Hat) પરંપરાના વડા છે. હાલના દલાઈ લામાનો જન્મ તિબેટી કુટુંબમાં લહાસા નજીક આવેલી આમ્ડો ગામની ટેકરી ઉપર એક ઝૂંપડીમાં થયો હતો. જૂના તિબેટનો વિસ્તાર આજે ચીનનો ભાગ છે અને તે ટાટ્સર કે ટૅગ્સ્ટર (Taktser or Tengster) તરીકે ઓળખાય છે. તેમના પિતા મધ્યમ વર્ગના ખેડૂત હતા. તેમનું કુટુંબ ગરીબીમાં જીવતું હતું.


                દલાઈ લામાનું જન્મનામ લામા ટોન્ડ્રૂપ હતું. તે નામ ૧૯૪૦માં પોતાનેદલાઈ લામા તરીકે જાહેર કરાયા ત્યાં સુધી તેમણે જાળવી રાખ્યું હતું. લામા ટોત્તૂપ તિબેટી પરંપરામાં ચૌદમા દલાઈ લામા છે. ૧૭મી નવેમ્બર, ૧૯૫૦માં ૧૫ વર્ષની વયે એમનો રાજ્યાભિષેક થયો. પરંપરાગત રીતે તિબેટી લોકો માને છે કે દલાઈ લામા એમના પુરોગામી દલાઈ લામાના અવતાર છે. તેઓ અવલોકિતેશ્વરનું માનવીય રૂપ છે. નાનપણથી તેમને ધાર્મિક બાબતોમાં ઘણી રુચિ હતી. રોજિંદી પ્રાર્થના માટે તેઓ સૌથી પહેલાં તૈયાર થઈ જતા. પ્રાર્થનામાં તેઓ હંમેશાં મણકાની માળા લઈને બેસતા. ૧૯૪૦માં ભારે ઉત્સાહપૂર્વક તેમનો રાજ્યારોહણનો પ્રસંગ પોટલા ગામમાં ઊજવાયો. રાજ્યારોહણ પછી તેમણે તિબેટના ભાવિ રાજવી માટે આવશ્યક એવી વિદ્યાઓનો અભ્યાસ કર્યો. તેમાં તીરંદાજી અને ઘોડેસવારીનો પણ સમાવેશ થતો હતો. તેમણે બૌદ્ધ ધર્મના શાસ્ત્રગ્રંથો અને લામાવાદનો અને તે સાથે તિબેટની ચિત્રકલાનો પણ અભ્યાસ કર્યો. ૧૯૫૦ સુધી તેઓ તિબેટના રાજકીય શાસક પણ હતા


                ઑક્ટોબર, ૧૯૫૦માં ચીને તિબેટ ઉપર આક્રમણ કર્યું ત્યારે દલાઈ લામાએ દેશવટો સ્વીકાર્યો. ભારતે રાજકીય આશ્રય આપતાં ૧૯૫૯ની ૩૦મી માર્ચે તેઓ ભારતની સીમામાં પ્રવેશ્યા અને ૧૮મી એપ્રિલે આસામના તેજપુરમાં આવ્યા. ત્યારબાદ સમય જતાં ભારતના ધરમશાલામાં તેમણે દેશનિકાલ પામેલી તિબેટી સરકારની સ્થાપના કરી, જે છોટા લ્હાસા (Little Lhasa) તરીકે ઓળખાય છે અને ત્યાં આશરે એંસી હજાર જેટલા તિબેટી નિર્વાસિતોને વસાવ્યા અને તિબેટના શિક્ષણ પ્રમાણે એનાં બાળકોને એની ભાષા, ઇતિહાસ, ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તિબેટીઓના અધિકાર માટે તેઓ આજે પણ લડત ચલાવે છે. ચીનના કારણે તેમને દેશનિકાલ વેઠવો પડ્યો હોવા છતાં તેઓ શાસકો અને પ્રજા સાથે શાંતિ અને સહકારભર્યા સંબંધોની હિમાયત કરે છે. ૧૯૮૯માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૨માં દલાઈ લામાને ટેમ્પલટન પ્રાઇઝ જાહેર કરવામાં આવ્યું. તેની સઘળી રકમ એમણે ભારતની ‘સેવ ધ ચિલ્ડ્રન નામની સેવાભાવી સંસ્થાને આપી દીધી.

 

                તિબેટને રાષ્ટ્ર બનાવવામાં અને તિબેટના સમાજ તેમ જ સંસ્કૃતિના ઘડતરમાં હાલના દલાઈ લામાનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે.

 

                                                                                                             અમલા પરીખ



read દાદાભાઈ નવરોજી, Dadabhai Navroji













ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ